રાજકોટનાં નવા બનતા ફોરલેન સાંઢિયા પુલની કામગીરી અંતિમ તબક્કામાં

રાજકોટના જામનગર હાઇવેને જોડતા અતિ મહત્વના એવા સાંઢિયા પુલના નવનિર્માણની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી શહેરના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનના ટ્રાફિક માટે માથાના દુખાવા સમાન બનેલી આ સમસ્યાનો હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે.

હાલ માત્ર પુલની એક સાઈડ એટલે કે જમણી બાજુના સિવિલ સાઈડ એપ્રોચ રોડમાં ડામરકામ અને ફાઇનલ ફિનિશિંગની કામગીરી બાકી છે. આ કામગીરી આગામી 20 દિવસમાં પૂર્ણ થવાની પૂરતી શક્યતા છે. 20મે આસપાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાજકોટ મુલાકાત ગોઠવાઈ રહી હોવાથી, તેમના હસ્તે જ આ ફોરલેન બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે. બ્રિજ શરૂ થતાં એક લાખ કરતા વધુ વાહનચાલકોને રાહત મળશે.

રાજકોટ મનપાનાં સેન્ટ્રલ ઝોનના સિટી ઇજનેર અતુલ રાવલે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા રૂ. 74.25 કરોડનાં ખર્ચે હાથ ધરવામાં આવેલા આ બ્રિજની લંબાઈ 600 મીટર એટલે કે અડધા કિમી કરતા પણ વધુ છે, જ્યારે તેની પહોળાઈ 16.40 મીટર રાખવામાં આવી છે. અગાઉ પુલ જર્જરિત અને સાંકડો હોવાથી તેને તોડીને તેના સ્થાને રૂ. 74.25 કરોડના ખર્ચે આ નવો ફોરલેન બ્રિજ બનાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *