રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક વેપારીને ખોટા બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસા પડાવતી ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. આ ટોળકીમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.
જેતપુરના મતવા શેરી વિસ્તારમાં ક્રિષ્ના સાડી નામની દુકાન ચલાવતા 60 વર્ષીય જગદીશભાઈ રૈયાણી આ બ્લેકમેલિંગનો ભોગ બન્યા હતા. ગત 10મી જાન્યુઆરીના રોજ એક અજાણી મહિલા તેમની દુકાને ગ્રાહક બનીને આવી હતી. તેણે રૂ. 3700ની બે સાડી ખરીદી હતી અને વેપારીનો મોબાઈલ નંબર પણ લીધો હતો.
આ ઘટનાના થોડા મહિનાઓ પછી, 23મી માર્ચના રોજ વેપારી જગદીશભાઈને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારી મહિલાએ ધમકી આપી કે સાડી ખરીદતી વખતે વેપારીએ તેનો હાથ પકડ્યો હતો. તેણે રૂ. 10,000ની માંગણી કરી અને પૈસા ન આપવા પર બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપી.
શરૂઆતમાં ડરી ગયેલા વેપારીએ આ ટોળકીને હપ્તે-હપ્તે રૂ. 20,000 ચૂકવી દીધા હતા. જોકે, આરોપીઓની પૈસાની માંગણી વધતી ગઈ. મહિલા પોતાની સાથે રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણા નામના સાગરીતોને લઈને વારંવાર દુકાને આવવા લાગી અને વધુ રૂ. 30,000 માંગણી કરી હંગામો મચાવ્યો.
આખરે, આરોપીઓના ત્રાસથી કંટાળીને વેપારી જગદીશભાઈએ પોતાના પરિવારજનોને આ અંગે જાણ કરી અને જેતપુર સિટી પોલીસનો સંપર્ક સાધ્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.