રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં રહેતા સોની દંપતીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદ (સંભાજીનગર)ના વેપારીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દંપતીએ કુવાડવા નજીક રામધામ મંદિર પાસે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. બન્નેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
મોરબી રોડ પર આવેલા જે.કે. એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ હરકિશનભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ.41) અને તેમની પત્ની પૂજાબેન (ઉ.વ.39) એ મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં આ આત્મઘાતી પગલું ભર્યું હતું. મહત્ત્વની બાબત એ છે કે, આ પગલું ભરતા પહેલાં વિશાલભાઈએ પોતાના બનેવીને વોટ્સએપ પર લાંબી સ્યૂસાઇડ નોટ મોકલી હતી. જેના આધારે પરિવારજનો તુરંત જ લોકેશન પર પહોંચી ગયા અને બન્નેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્યૂસાઇડ નોટમાં વિશાલભાઈએ ઉલ્લેખ કર્યો છે કે, તેઓ છેલ્લા દસ વર્ષથી ઔરંગાબાદ ખાતે ‘અંકિત જ્વેલર્સ’ ચલાવતા આતિશ સવાઈવાલા અને મચ્છુભાઈ સાથે ધંધાકીય વ્યવહારમાં હતા. દરમિયાન આતિશ અને તેના સાગરીતોએ વિશાલભાઈનું રાજકોટમાંથી અપહરણ કરી બગોદરા સુધી લઈ જઈ તેમને બળજબરીપૂર્વક સોનું આપવાનું બાંહેધરીનામું લખાવી લીધું હતું.