સગીરે વાહન ચલાવી નિર્દોષ બાળકીનો ભોગ લીધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના કુવાડવા રોડ પર રોહિદાસપરામાં 16 વર્ષના સગીરે કાર હંકારી બે બાળકીને કચડી હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એકનો ચમત્કારીક બચાવ થયો છે, જ્યારે બીજી એક બાળકીનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે કુવાડવા પોલીસે ગુનો નોંધી ચાલક સગીર અને કારમાલિકની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
મહેશભાઈ મનસુખભાઈ ચુડાસમા (ઉં.વ.30)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું છુટક મજુરી કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં બે બાળકો છે, જેમાં મોટી દીકરી જિયાંશી (ઉં.વ.4) તથા તેનાથી નાનો દીકરો હેત (ઉં.વ.2.5) છે. 25 જૂનના રોજ સાંજના આશરે 4 વાગ્યે હું તથા મારી પત્ની તેમજ મારો ભાઈ ઘરે હતા અને મારી દીકરી જિયાંશી અમારા ઘરની સામે રહેતી વૈશાલી સાથે અમારા ઘરથી થોડે દૂર ચામુંડા સોસાયટી પાસેના મેદાનમાં રમવા ગયા હતા.
દરમિયાન આશરે 4.30 વાગ્યે શેરી નંબર 7 મેઈન રોડ ખાતે રહેતા દર્શનભાઈ સુરેશભાઈ સોલંકી અમારા ઘરે આવ્યા અને મને જણાવ્યું કે, તમારી દીકરી જિયાંશી તથા વૈશાલી બંને મેદાનમાં રમતા હતા, તે વખતે ગાંધી વસાહતમાં રહેતો 16 વર્ષીય સગીર મેદાનમાં પાર્ક કરેલ જીજે.03.એચ.કે.1113 નંબરની આર્ટિકા કાર ચાલુ કરી ચલાવતા કાર તેનાથી કંટ્રોલ નહીં થતા તમારી દીકરી તથા વૈશાલીને ટક્કર વાગી છે. તમારી દીકરીને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થવાથી માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું છે, જેથી વાડીવાળા અજયભાઈ તમારી દીકરી તથા વૈશાલીને સારવાર માટે લઈ ગયા છે.