ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સાબરકાંઠા જિલ્લાના પોશીના અને વિજયનગર તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં પોશીનાના દાંતિયા ગામે વીજળી પડતા 17 વર્ષીય વિક્રમ માલાભાઈ તરારનું મોત થયું હતું. તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સાંજના સમયે અચાનક આવેલા વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે. અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે, જ્યારે વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત બન્યું છે. વાવાઝોડાના કારણે વાહનો પણ પલટી ગયાં હતાં.
તો બીજી તરફ ગરમીથી થોડી રાહત મળ્યાં બાદ ફરી રાજ્યના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.9°C અને અમરેલીમાં 41.7°C નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સત્તાવાર રીતે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવે આગામી દિવસોમાં તેની અસર દેશના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળશે. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે જ આજે અને આવતીકાલે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.