હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. ત્યાર બાદ સમગ્ર પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયા અને અમરેલીમાં નોંધાયું હતું. બન્ને શહેરમાં 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં અગાઉ 14.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાત્રે 2.6 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
હવામાન નિષ્ણાત અને નિવૃત્ત હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.ટી. દેસાઈએ ગુજરાતમાં જોઈએ તેવી ઠંડી ન પડવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, લા નીનો અને અલ નીનોની અસરને કારણે વાતાવરણમાં ફેરફાર થાય છે. લા નીનોને કારણે ટ્રોપિકલ સિસ્ટમ 9 નંબર આપણી બાજુ હોવાથી અસર થઈ રહી છે. 24 ડિસેમ્બર બાદ તે હિંદ મહાસાગર તરફ જશે. ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે. ગયા વર્ષ કરતા આ વખતે તાપમાન વધારે અનુભવાઈ રહ્યું છે. હાલમાં ભેજ, ધુમ્મસના કારણે ઠંડીની અસર ઓછી અનુભવાઈ રહી છે. ઉત્તરના પવનો રોકાવાથી ઠંડીની અસર ઓછી થાય છે. ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે. પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે. 2026ની શરૂઆત કડકડતી ઠંડીથી થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.