રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે વોર્ડ નં 13માં કોંગ્રેસના ઉમેદવારોએ એક અનોખો પ્રચાર હાથ ધરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે ઉમેદવારો માત્ર વચનો આપતા હોય છે, પરંતુ અહીં કોંગ્રેસના ઉમેદવારોએ ‘પહેલા કામ અને પછી મત’ની નીતિ અપનાવીને પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ વોર્ડના સ્થાનિક રહીશોએ જ્યારે રોડ રસ્તાના ખરાબ હાલતની ફરિયાદ કરી, ત્યારે ઉમેદવારોએ કોઈ સરકારી તંત્રની રાહ જોયા વગર પોતે જ પાવડો અને તગારું લઈ રોડ રિપેર કરવાનું કામ કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર સુનિલ ચાવડીયાએ જણાવ્યું હતું કે, વિકાસનાં નામે ભાજપ ઝીરો છે.
પ્રાપ્ત વિગત મુજબ વોર્ડ નં 13માં કોંગ્રેસના પેનલના ઉમેદવારો શાંતાબેન મકવાણા, સુનિલ ચાવડીયા, સૂર્યકાન્ત કણસાગરા અને હેમાંગી ગોંડલીયા જ્યારે પ્રચાર માટે નીકળ્યા હતા, ત્યારે તેમને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં રોડનું કામ લાંબા સમયથી અટકેલું હોવાથી અને ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને આસપાસની 10 જેટલી સોસાયટીઓના રહીશો માટે મુખ્ય માર્ગ સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું હતું.