ઈરાન બોલ્યું- હાલની સ્થિતિમાં હોર્મુઝ નહીં ખુલે

ઈરાને કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે નહીં. ઈરાની સંસદના સ્પીકર મહોમ્મદ બાકેર ગાલિબાફે જણાવ્યું કે સીઝફાયરના ઉલ્લંઘન વચ્ચે આ શક્ય નથી.

ગાલિબાફે આરોપ લગાવ્યો કે અમેરિકી નાકાબંધી ઈરાની બંદરોને નિશાન બનાવી રહી છે અને આ વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવવા જેવું છે. તેમણે કહ્યું કે પૂર્ણ સીઝફાયર ત્યારે જ શક્ય છે, જ્યારે નાકાબંધી ખતમ થાય.

બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે શુક્રવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બેઠક થવાની શક્યતા છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, પાકિસ્તાનની મધ્યસ્થતા બાદ બંને દેશો ટૂંક સમયમાં વાતચીતના ટેબલ પર પરત ફરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે આ બેઠક જલ્દી યોજવી શક્ય છે.

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવી રહેલા એક જહાજને અટકાવીને પોતાના કબજામાં લઈ લીધું છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે આ જહાજ પરવાનગી વગર હોર્મુઝ પાસેથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.

લાઈબેરિયાના ફ્લેગવાળું ‘એપામિનોડેસ’ નામનું આ કન્ટેનર શિપ ગુજરાતના મુન્દ્રા પોર્ટ તરફ આવી રહ્યું હતું. ઈરાની નૌકાદળના જણાવ્યા અનુસાર, જહાજની નેવિગેશન સિસ્ટમ સાથે છેડછાડ કરવામાં આવી હતી, જેનાથી દરિયાઈ સુરક્ષા માટે જોખમ ઊભું થયું હતું.

કાર્યવાહી દરમિયાન IRGCએ જહાજને રોકીને પોતાના કબજામાં લીધું અને તેને કિનારા તરફ લઈ ગઈ. આ ઉપરાંત, ઈઝરાયેલ સાથે જોડાયેલા ‘ફ્રાન્સેસ્કા’ નામના બીજા જહાજને પણ કબજામાં લેવામાં આવ્યું છે. વધુમાં, ‘યુફોરિયા’ નામના જહાજ પર હુમલો પણ કરવામાં આવ્યો છે.

આ જહાજ પર રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના રહેવાસી મર્ચન્ટ નેવીમાં વાઈસ કેપ્ટન સંજય માહર હાજર છે. તેમણે દૈનિક ભાસ્કરને જણાવ્યું કે મારા શિપ પર ઈરાનની સેનાએ ફાયરિંગ કર્યું. ત્યારબાદ અમે બધા અંદર આવી ગયા. જહાજમાં મારા સહિત કુલ 21 ક્રૂ મેમ્બર્સ છે. સંજયે શિપની અંદરનો એક વીડિયો પણ મોકલ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *