પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં બુધવારે પાકિસ્તાની સેનાનું એક MI-17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દુર્ઘટના મુઝફ્ફરાબાદ નજીક ઉડાન ભર્યાના થોડા સમય બાદ થઈ. હેલિકોપ્ટરમાં સવાર તમામ 21 સુરક્ષાકર્મીઓના મોત થયા હોવાના સમાચાર છે. જોકે, સેનાએ હજુ સુધી એ જણાવ્યું નથી કે હેલિકોપ્ટરમાં કુલ કેટલા લોકો સવાર હતા.
પ્રારંભિક માહિતી અનુસાર, આ સુરક્ષાકર્મીઓ PoK ના નીલમ ઘાટી સેક્ટર જઈ રહ્યા હતા. ત્યાં વિધાનસભાની 12 અનામત બેઠકોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે સરકાર ત્યાં વધારાના સૈનિકો તૈનાત કરી રહી છે.
મુઝફ્ફરાબાદમાં ઉડાન ભર્યા બાદ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલટે ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષિત રીતે ઉતારી શકાયું નહીં. પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે દુર્ઘટનાના સાચા કારણની તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.