ધોરાજી તાલુકાના વાડોદર ગામના લોકોની પીવાના પાણીની જરૂરિયાત પુરી કરતો પાણીનો ટાંકો અત્યંત જર્જરિત હાલતમાં ઉભો છે અને ગમે ત્યારે ધસી પડે તેવી હાલત છે. કરૂણતા તો એ છે કે આ ટાંકાની પાસે જ એક અવેડો આવેલો છે અને તેમાં પશુઓ મોટી સંખ્યામાં પાણી પીવા આવે છે અને મહિલાઓ પણ અહીં જ કપડા ધોવા આવતા હોવાથી જો આ ટાંકો ધસી પડે કે અન્ય કોઇ દુર્ઘટના સર્જાય તો તંત્રની અતિ ગંભીર બેદરકારી છતી થાય તેમ છે. આથી આ ટાંકાની મરામત સમયસર કરી દેવામાં આવે તેવી માગણી ઉઠવા પામી હતી.
ધોરાજીનાં વાડોદર ગામે પાણીનો ટાંકો જર્જરીત હાલતમાં બની જતાં ગ્રામજનો ભયભીત બની ગયાં છે અને આસપાસ ફરકતાં પણ ડરે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વાડોદર ગામે આવેલો જળસંચય માટેનો પાણીનો ટાંકો જર્જરિત બની ગયો છે. આ ટાંકાની બાજુમાં જ અવેડો છે અને ત્યાં પશુઓને ગામના લોકો પાણી પીવડાવવા આવતા હોય છે તેમજ ગામના મહિલાઓ પણ કપડાં ધોવા ત્યાં આવતા હોય છે. લેઉવા પટેલ સમાજ જતા રસ્તામાં જ આ ટાંકો આવેલ છે. અતિ જર્જરિત બની ગયેલો ટાંકો વહેલી તકે તંત્ર વાહકો દ્વારા મરામત કરાવાય તેવી લોકમાગણી ઉઠવા પામી છે.