જસદણ પોલીસે સગીરાના અપહરણ કેસમાં ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી 17 વર્ષીય સગીરાને સુરક્ષિત છોડાવી હતી. આ કેસમાં 19 વર્ષીય અપહરણકર્તા યુવક મનોજ દેવરાજભાઈ સાથળિયાની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ મુજબ, જસદણ તાલુકાના એક ગામની આ સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જવામાં આવી હતી. આરોપી મનોજ છેલ્લા આઠ મહિનાથી સોશિયલ મીડિયા દ્વારા સગીરાના સંપર્કમાં હતો અને તેણે લગ્નની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. 28 જુલાઈના રોજ આરોપી સગીરાને તેના ગામમાંથી ભગાડી ગયો હતો.
સગીરાના માતા-પિતાની ફરિયાદના આધારે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. એએસપી ડૉ. નવીન ચક્રવર્તી રેપુડી અને પીઆઈ જે.પી. ગોસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી હતી.
આરોપીએ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હોવા છતાં, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે તેને મુંબઈ અને ત્યારબાદ સુરત સુધી ટ્રેક કર્યો હતો. અંતે, સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી સગીરાને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવી હતી અને આરોપી મનોજ સાથળિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો.