રાજકોટમાં આઝાદી કાળની સૌરાષ્ટ્રની પ્રખ્યાત વિરાણી હાઈસ્કૂલ ફરી વિવાદમાં આવી છે. રૂપિયા 1000 કરોડની જમીનમાં કોમર્શિયલ ઉપયોગ સ્વરૂપે ખાણીપીણીની બજાર ઊભી થઈ ગઈ છે ત્યારે આ જમીનનો એક ભાગ વેચવાની ચેરિટી કમિશનર સમક્ષ અરજીથી વિવાદ શરૂ થયો હતો. આ જ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોતમ પીપળીયા દ્વારા વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો સમિતિના નેજા હેઠળ લડત ચલાવવામાં આવી હતી.
આ જમીનનું વેચાણ ન થાય તે માટે પક્ષકાર તરીકે જોડાવવા માટે કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. જોકે આ રિવિઝન અરજી હાલના કલેક્ટર દ્વારા નામંજૂર કરવામાં આવી છે ત્યારે વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટના એડવોકેટે કહ્યું કે, ત્રાહિત વ્યક્તિ પીપળીયાનો ફુગ્ગો ફૂટી ગયો છે અને આ જમીનનું વેચાણની કોઈ વાત નથી.
જ્યારે સામા પક્ષે પુરુષોત્તમ પીપળીયા કહ્યું કે, સરકારે આપેલી જમીન હોવાથી કલેક્ટર અને ટ્રસ્ટ વચ્ચેનો મામલો છે પરંતુ કઈ કાચું ન કપાય તે માટે અમે શરૂઆતથી પક્ષકાર તરીકે જોડાવવા અરજીઓ કરીએ છીએ. અમે હાઈકોર્ટમાં પણ અરજી કરેલી છે. સામે પક્ષ દ્વારા ₹ 2 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ આ બાબતના વધુ ખુલાસા આવતીકાલે કરીશ.
એડવોકેટ પરેશ ઠાકરે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી આ ટ્રસ્ટને વિવાદ માટે ઢસેડવાના પ્રયત્નો ચાલુ થયા હતા. પરસોતમ પીપળીયા દ્વારા ગ્રાઉન્ડ બચાવો સમિતિ અને વિરાણી બચાવો સમિતિ ચલાવવામાં આવતી હતી. જેને કાયદાકીય સમર્થન ન હતું. જે બાદ આંદોલનત્મક કાર્યક્રમો શરૂ થયા હતા જેના અનુસંધાને ટ્રસ્ટે ચેરિટી કમિશનર ઓફિસમાંથી એક પાર્ટ વેચવાની મંજૂરી મેળવી હતી. જે મંજૂરી મળતા આંદોલનો ચાલુ થયા હતા.ચેરિટી કમિશનરની ઓફિસમાં પરસોતમ પીપળીયાએ પોતે પક્ષકાર તરીકે જોડાવાની અરજી કરી હતી. જે અરજી નકારી નાખવામાં આવી હતી.