4 જૂનથી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સમાં 5 થી 7 જૂન દરમિયાન ‘સનાતન સેતુ હનુમાન કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, બાબા બાગેશ્વર રાજકોટ પધારે તે પહેલા જ તેની કથાને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. સામાજિક આગેવાન પરસોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, ચમત્કાર, તાંત્રિક વિદ્યા કે મેલિવિદ્યા જેવું કશું હોતું નથી. મારી પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ. પીપળીયાના આ નિવેદન બાબતે આયોજક દ્વારા બાબા બાગેશ્વરનું ધ્યાન દોરવામાં આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પડકાર ફેંકનારા લોકોને દરબારમાં આવવા આમંત્રણ આપ્યું છે.
મંગેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 5,6, અને 7 જૂનના રોજ ત્રણ દિવસ સનાતન સેતુ હનુમાન કથા’નું દિવ્ય કરવામાં આવ્યું છે જેમાં બીજા દિવસે એટલે કે 6 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવામાં આવશે. આ કથાનું આયોજન હિન્દુ સમાજને સંગઠીત બનાવવાની નેમ સાથે કરવામાં આવી રહ્યું છે. આયોજકોનું કહેવું છે કે સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ ભર્યો અનેરો અવસર આવ્યો છે ત્યારે હિન્દૂ ધર્મપ્રેમી ભક્તો સહ પરિવાર જોડાશે તેવો અમને વિશ્વાસ છે.
વિરોધીઓને જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમા કેટલાક વિરોધીઓ ખોટા નિવેદનો કરી રહ્યા છે. વિરોધ કરતા લોકોએ 2023માં પણ બાબાના આગમન પૂર્વે વિરોધ કર્યો હતો એ જ રીતે આ વર્ષ પણ વિરોધ કરી રહ્યા છે. પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ આ અંગે જાણ કરવામાં આવતા તેઓએ પણ સ્પષ્ટ કહ્યું છે કે જેમને ચેલેન્જ કરવી હોય તે કરે અને રૂબરૂ દરબારમાં આવી શકે છે. પરંતુ જયારે જયારે કોઈ મોટી ઇવેન્ટ હોય કોઈ મોટા VIP લોકો આવે ત્યારે કેટલાક વિરોધીઓ આ પ્રકારે વિરોધ કરતા રહે છે અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે.