જસદણ પાલિકામાં થયેલા હુમલાના ઘેરા પડઘા, પટેલ સમાજની રોષપૂર્ણ રેલી

જસદણમાં બે દિવસ પહેલાં બનેલી હુમલાની ઘટનાને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જસદણ પાલિકાના પટાંગણમાં વોર્ડ 1 ના ભાજપના મહિલા સભ્યના પતિ પર પાલિકાના બે કર્મચારી અને તેમના સાગરિતોએ કરેલા હુમલાના વિરોધમાં પાટીદાર સમાજે આવેદન આપ્યું હતું.

આ ઘટનાના અનુસંધાને જસદણના લાતી પ્લોટમાં પાટીદાર સમાજની વિશેષ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં દિનેશ બાંભણિયા પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ તાલુકા સેવાસદન સુધી રેલીનું આયોજન કરાયું હતું. અને જસદણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી હુમલામાં સંડોવાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જસદણ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. હાલ ત્રણેય આરોપી જામીન પર મુક્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. પાટીદાર આગેવાને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આરોપીઓ સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદારો પરિવાર સાથે જસદણ ખાતે એકત્રિત થઈ ઉગ્ર આંદોલન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *