જેકલીનના ‘સરકારી સાક્ષી’ બનવા પર EDને વાંધો

200 કરોડ રૂપિયાના હાઈ-પ્રોફાઈલ મની લોન્ડરિંગ કેસમાં નવો કાનૂની વળાંક આવ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને પોતાને અપ્રુવર એટલે કે સરકારી સાક્ષી બનાવવાની માંગ કરી છે. આ મામલો કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે, જેના પર કરોડોની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, જેકલીનની અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો છે. ED એ કોર્ટને કહ્યું કે અરજી અસ્પષ્ટ અને અધૂરી છે, તેથી જવાબ માટે સમય આપવામાં આવે. કોર્ટે EDની વાત સ્વીકારીને તેને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, જેકલીને કોર્ટમાં કહ્યું કે, તે તપાસ એજન્સીઓ સાથે સહયોગ કરવા માંગે છે અને સત્ય બહાર લાવવામાં મદદ કરવા માંગે છે. અપ્રુવરનો દરજ્જો મળવા પર તે આરોપીથી અલગ થઈને તપાસમાં સાક્ષી બની શકે છે. આ પ્રક્રિયા કોર્ટની મંજૂરી અને EDની સંમતિ પર નિર્ભર કરે છે.

આ મામલો લગભગ 200 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સાથે સંકળાયેલો છે. તેમાં સુકેશ ચંદ્રશેખર પર હાઈ-પ્રોફાઈલ લોકોને નિશાન બનાવવા અને ગેરકાયદેસર રીતે પૈસા એકઠા કરવાનો આરોપ છે. તપાસ એજન્સીનો દાવો છે કે આ મામલામાં મોટા વ્યવહારો અને મોંઘી ભેટોનો ઉપયોગ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *