રાજકોટ નજીક આવેલા શાપમાં મિત્રના ઝઘડાનું સામાધાન કરાવવા ગયેલા યુવાનની છરી ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.
આ ઘટના અંગે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે, શાપરમાં ધરતી ગેટ અંદર મહાદેવ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં રહેતા સાગર ભીખુભાઇ સોલંકીના શાપરમાં વચ્છરાજ ડેરી પાસે રહેતા મામાની દીકરી કિરણબેનને તેને સામે રહેતા મુકેશ ધીરૂભાઈ માલકિયાની પત્ની સાથે ઝઘડો થયો હતો. જેમાં મુકેશ માલકિયાએ મારી બહેનને ઠપકો આપ્યો હતો જે અંગેની મને વાત કરતા મેં મુકેશને ફોન કરી આ બાબતે પૂછતાં પોતે બહારગામ હોઈ બે દિવસ પછી આવીને વાત કરીશું તેમ કહ્યું હતું. ગઈકાલે હું સાંજે આઠેક વાગ્યે મિત્ર સંજય મકવાણા, શહેજાદ યુસુફભાઇ હિંગોરા, વિજય વિરમભાઇ ચૌહાણ અમે બધા મિત્રો શાપર મેઈન રોડ પર આવેલી સલૂનની દુકાન પાસે બેઠા હતા ત્યારે મુકેશ માલકિયાનો ફોન આવ્યો હતો અને તું ક્યાં છો ? તેમ પૂછતાં શાપર રોડ પર હોવાનું જણાવ્યું હતું. મુકેશે શાપર મામાદેવના મંદિર પાસે આવો આપણે સમાધાનની વાત કરી લઈએ તેમ કહી ત્યાં બોલાવ્યા હતા.
આથી હું મારો મિત્ર મિલન, શહેજાદ, વિજય, તુષાર અને મેહુલ અર્ટિગા કારમાં ત્યાં ગયા હતા. જ્યાં મુકેશ માલકિયા ઊભો હતો અને મને કહેવા લાગ્યો હતો કે, તારા મામાની દીકરી કિરણબેન કેમ મારી પત્ની સાથે માથાકૂટ કરે છે, કહી બોલાચાલી કરવા લાગતા તેની સાથેના અન્ય ત્રણ શખ્સો પણ ઝઘડો કરવા લાગ્યા હતા.