ઉપલેટા શહેરમાં વર્ષ 2021માં પાટણવાવ રોડ પર શરૂ કરાયેલ એનિમલ હોસ્ટેલ આજે રખડતા ઢોર માટે આશ્રયસ્થાન બની ગયું છે. શહેરમાં રખડતા ઢોરના વધતા ત્રાસ વચ્ચે હાલ સંસ્થામાં 900થી 1000 જેટલા ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા બે માસથી શહેરમાં ફરી રખડતા પશુઓનો ત્રાસ વધતા એનિમલ હોસ્ટેલની ટીમે છેલ્લા 15 દિવસમાં 100થી વધુ રખડતા ઢોર પકડી હોસ્ટેલમાં ખસેડ્યા છે.
ગૌપ્રેમી પિયુષભાઈ માકડિયા અને તેમની ટીમના પ્રયાસોથી શરૂ થયેલી આ સંસ્થા સરકારની કોઈ આર્થિક સહાય વિના કાર્યરત છે. ગૌવંશના નિભાવ અને સારવાર માટે સંસ્થા જન્માષ્ટમી મેળો, નવરાત્રિ દરમિયાન વિવિધ કાર્યક્રમો તેમજ દિવાળીમાં ફટાકડાના સ્ટોલનું આયોજન કરીને ફંડ એકત્રિત કરે છે.
લમ્પી વાયરસના સમયમાં પણ સંસ્થાએ ફંડ એકત્ર કરી મોટી સંખ્યામાં ગાયોની સારવાર અને સંભાળ રાખી હતી.
જનસહયોગથી ચાલે છે ગૌસેવાનું કાર્ય એનિમલ હોસ્ટેલને સરકાર તરફથી કોઈ નિયમિત આર્થિક સહાય મળતી નથી. ગૌવંશના ઘાસચારા, સારવાર અને દૈનિક ખર્ચ માટે જન્માષ્ટમી મેળો, નવરાત્રિ દરમિયાન વિવિધ કાર્યક્રમો તેમજ દિવાળીમાં ફટાકડાના સ્ટોલનું આયોજન કરી ફંડ એકત્ર કરવામાં આવે છે. આ જ જનસહયોગથી આજે 900થી વધુ ગૌવંશની સેવા કરવામાં આવી રહી છે.