ભાયાવદરમાં બસ સ્ટેશન સામે આવેલા મયુરનગરની બીજી શેરીમાં સીસી રોડની છેલ્લા બે માસથી ગોકળગતિએ ચાલતી કામગીરીના કારણે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ શેરીમાં પાલિકાના કારોબારી ચેરમેન પણ રહે છે આમ છતાં તંત્ર ઢીલી નીતિથી કામગીરી કરી રહ્યું છે.
મયુરનગરમાં પાલિકાના કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના રહેણાંક વિસ્તાર અને તેમની જ ગલીમાં બ્લોક વાળા રોડના બ્લોક કાઢીને નવો સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે બે મહિનાથી આ આખો રોડ ખોદીને ત્યાં રહેતા લોકોને બાનમાં લીધા હોય તે મુજબ આ કામ ખોરંભે ચડ્યું છે, 7 દિવસ પહેલા તે વિસ્તારની મહિલાઓનું ટોળું પાલિકાએ ઘસી ગયું હતું.
તે સમયે જવાબદાર અધિકારીએ કાલથી તમારું કામ શરૂ થઈ જશે તેવું લોલી પોપ વાળું આશ્વસન આપી બીજા દિવસે કામ બતાવવા માટે ખોદેલા રોડમાં પાંચ થી છ મીટર જેટલી સામાન્ય કાંકરી નાખીને સંતોષ માની લીધો હતો, અને ફરી છ દિવસથી કામ ખોરંભે ચડી ગયું હોવાથી તે વિસ્તારના લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.
જ્યારે બે મહિનાથી આ સીસી રોડનું કામ ગોકળગતીએ ચાલતું હોવા અંગે અધિકારીઓને જાણ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી.