રાજકોટ શહેર અને જિલ્લાની 800થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આજે 23 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે જેને પ્રગતિનો પ્રવેશોત્સવ નામ આપવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતમાં જાણે વિદ્યાર્થીઓનો ડ્રાપ આઉટ રેશિયો જ ખબર ન હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં અધ્ધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા બાળકોનો રેશિયો 0% એ પહોંચ્યો છે તેમ જણાવ્યું હતું.
રાજકોટ શહેર-જિલ્લામાં આજે પ્રથમ દિવસે 15,901 વિદ્યાર્થીઓને ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશ થયો છે. આ દરમિયાન શહેરના રામનાથપરામાં જૂની જેલ પાસેથી સંત તુલસીદાસ શાળામાં વિદ્યાર્થીઓને આવકારવા માટે ધારાસભ્ય રમેશ ટીલાળા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ ભણે તે માટે વાલીઓ ધ્યાન આપે તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ સાયપર ગામની સરકારી પ્રાથમિક શાળાએ બાળકોનો પ્રવેશ કરાવવા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પહોંચ્યા હતા.
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સાયપર પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આજે શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ હતી. એ પહેલા શાળાઓમાંથી દીકરા અને દીકરીઓ મોટા પ્રમાણમાં ડ્રોપ આઉટ થઈ જતા હતા. અધવચ્ચેથી શિક્ષણ છોડી દેતા હતા તે વખતે પ્રાથમિક શાળામાં સુવિધાઓનો પણ અભાવ હતો. એને કારણે ખુબ મોટા પ્રમાણમાં ડ્રાપ આઉટ હતો. જેથી વર્ષ 2003થી આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ હતી.