રાજકોટમાં 18 વર્ષ પહેલા મહાનગરપાલિકામાં પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા કોંગી આગેવાનોના ટોળાએ તત્કાલીન મ્યુ. કમિશનર મુકેશ કુમારની ચેમ્બરમાં બબાલ કરી હંગામો મચાવી તોડફોડ કરી ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં રાજકોટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, જશવંતસિંહ ભટ્ટી સહિત 9 આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
જેથી નીચેની કોર્ટના હુકમ સામે સરકાર દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અપીલ ચાલી જતા આજ રોજ સેશન્સ કોર્ટે સરકાર પક્ષે કરવામા આવેલી અપીલ રદ કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખતો આદેશ કર્યો છે.
કમિશનરની ચેમ્બરમાં તોડફોડ ને 13 લોકો સામે ગુનો નોંધાયો હતો રાજકોટ શહેરમાં વર્ષ 2004માં મ્યુ.કમિશનર મુકેશ કુમારને પાણી પ્રશ્ને શહેર કોંગ્રેસના આગેવાનો અને નગરસેવકો રજૂઆત કરવા ગયા હતા ત્યારે વાતાવરણ ઉગ્ર બનતા કમિશનરની ચેમ્બરમાં તોડફોડ કરી, કમિશનરના ચશ્મા તોડી, સરકારી કાગળો ફાડી નાખી નુકશાન કરી તેમજ ફરજમાં રૂકાવટ કર્યાની એ. ડિવિઝન પોલીસમાં વિજિલન્સ શાખાના પી.આઈ. જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી.
જે અંગે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, તત્કાલીન કોંગી કોર્પોરેટર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, નિતીન નથવાણી, શકીલ રફાઈ, સતુભા જાડેજા, બહાદુર સિંધવ, વિજય ચૌહાણ, કોંગી અગ્રણી ઙ્કવિણ સોરાણી, ગોવિંદ સભાયા, જ્યુભાઈ મસરાણી, વશરામભાઈ સાગઠિયા જગદીશ પુરબીયા અને જયંત ઠાકર સહિત 13 લોકો સામે ગુનો નોંઘ્યો હતો.