રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ

રાજકોટ શહેરમાં આપઘાતની વધુ ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ બનાવમાં હુડકો ક્વાર્ટરમાં રહેતા વૃદ્ધે પત્નીના વિયોગમાં જ્યારે બીજા બનાવમાં વિનાયક નગરમાં રહેતા વૃદ્ધે માનસિક બીમારીથી કંટાળી અને વિનાયક નગરમાં 24 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ત્રણેય બનાવમાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીના વિયોગમાં વૃદ્ધે કર્યો આપઘાત રાજકોટના હુડકો ક્વાર્ટરમાં યશવંતભાઈ જેન્તીભાઈ ભીમજીયાણી (ઉં.વ.63) ગઈકાલે સાંજે 4.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા. પોલીસ તપાસમાં યશવંતભાઈના પત્નીનું દોઢ વર્ષ પહેલા અવસાન થયું હતું, જેના વિયોગમાં પગલું ભર્યાંનું અનુમાન છે. હાલ ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

બીમારીથી કંટાળી વૃદ્ધે કર્યો આપઘાત જ્યારે બીજા બનાવમાં રાજકોટના વિનાયક નગરમાં રહેતા ધીરજલાલ આપાભાઈ ડાંગર (ઉં.વ.67) ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરે હતા, ત્યારે ગળાફાંસો ખાઈ લેતા સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં ધીરજલાલ હાલ નિવૃત જીવન જીવતા હોવાનું સામે આવ્યું છે. જેઓની છેલ્લા થોડા સમયથી માનસિક બીમારીની દવા પણ ચાલુ હતી તેમને સંતાનમાં 2 દીકરા અને 2 દીકરી હોવાનું સામે આવ્યું છે. હાલ માલવીયાનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

અગમ્ય કારણોસર પરિણીતાએ કર્યો આપઘાત ત્રીજા બનાવમાં રાજકોટના વિનાયક નગરમાં રહેતા કિંજલબેન રાજેન્દ્રભાઈ રાઠોડ (ઉં.વ.24) ગઈકાલે રાત્રે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા રાજકોટ સિવિલમાં ખસેડતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં કિંજલબેનના પતિ રિક્ષા ચલાવે છે. ગઈકાલે પતિ રિક્ષા ચલાવવા ગયા હતા અને સાસુ બહાર ગયા હતા. દરમિયાન ઘરે એકલા હતા, ત્યારે કિંજલબેને પગલું ભરી લીધું હતું.

સાસુ ઘરે આવતા પુત્રવધુને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા બુમા બુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હોસ્પિટલ ખસેડતા તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. કિંજલબેનના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા અને લગ્ન જીવનથી એક સંતાન છે. બનાવ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *