ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત સુરત મહાનગર આગામી 5મી જૂનના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત માટે થનગની રહ્યું છે. પ્રધાનમંત્રીની આ દક્ષિણ ગુજરાતની મુલાકાતને લઈને સમગ્ર વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. જોકે, ચાલુ વર્ષની કાળઝાળ ગરમી અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અણધારી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના સ્થળમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાનની વિશાળ જનસભા હવે ખુલ્લા મેદાનને બદલે સુરતના અત્યાધુનિક એસી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે.
હવામાનની આગાહીના કારણે વેસુનો ખુલ્લો ડોમ રદ કરાયો શરૂઆતના વહીવટી આયોજન મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ જાહેરસભા સુરતના વીઆઈપી વિસ્તાર ગણાતા વેસુના ખુલ્લા મેદાનમાં યોજાવાની હતી, જ્યાં હજારોની જનમેદની એકઠી થઈ શકે તે માટે વિશાળ ડોમ અને સ્ટેજ બનાવવાની પ્રાથમિક વિચારણા પૂર્ણ કરી લેવાઈ હતી. પરંતુ ચાલુ ઉનાળે પારો સતત ઊંચો રહેવાના કારણે અસહ્ય ગરમીથી નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર ચિંતિત હતું. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવા કે ભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવતા આયોજકો તાકીદે એક્શનમાં આવ્યા હતા.
સુરત કલેક્ટર તેજસ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી સુરત પ્રવાસ અંગેની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, પીએમ મોદી આગામી 5 જૂન 2026ના રોજ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. સુરત આગમન બાદ તેઓ સૌપ્રથમ હજીરા ખાતે આવેલા એક પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાં આશરે 45 મિનિટ જેટલો સમય વિતાવશે. હજીરાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક ભવ્ય જાહેર સભાને સંબોધિત કરવા પધારશે. આ જાહેર કાર્યક્રમ બપોરે સવા ચારથી સવા પાંચ વાગ્યા સુધી એટલે કે એક કલાકનો રહેશે, જેમાં સરકારના વિવિધ વિભાગોના ₹18,000 કરોડથી વધુના મહત્વના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન સુરતથી આગળ પ્રસ્થાન કરશે.