મનપાના ફૂડ વિભાગે આજે 16 જૂન સતત બીજા દિવસે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મનપાના ફૂડ વિભાગની ટીમો દ્વારા 150 ફૂટ રિંગરોડ પર રૈયા ચોકડી પાસે વેસ્ટ ગેટમાં આવેલી પ્રખ્યાત ‘બાલાજી થાળ’ હોટેલમાં ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારની આગેવાની હેઠળની ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન હોટેલનાં સ્ટોરેજમાં રહેલા લોટમાં ધનેડા નીકળ્યા હતા. જેને લઈને ફૂડ વિભાગે 100-150 કિલો જથ્થાનો નાશ કરીને સંચાલકને નોટિસ આપીને દંડ વસુલ્યો હતો. જોકે ‘લોટમાં ધનેડા બહારથી આવ્યા’ હોવાનો લુલો બચાવ સંચાલકે કર્યો હતો.
ફૂડ વિભાગની ટીમે હોટેલના સ્ટોરેજ એરિયા તેમજ ફ્રિજ સહિતની તમામ જગ્યાઓ પર બારીકાઈથી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. ‘બાલાજી થાળ’ હોટેલ બહારથી દેખાવમાં ખૂબ જ હાઇજિનિક અને સ્વચ્છ લાગતી હતી, પરંતુ તેની અંદર કિચન અને સ્ટોરેજ એરિયામાં ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી.
હોટેલમાં રસોઈ માટે વપરાતા લોટ (આટા)ની અંદર ધનેડા જેવી જીવાત જોવા મળી હતી. આ ઉપરાંત, મસાલાના પેકેટ્સ પર કોઈ પણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ લખવામાં આવી ન હતી. આવા શંકાસ્પદ અને પડતર મસાલાનો ઉપયોગ ગ્રાહકો માટે અપાતા ભોજનમાં થતો હોવાનું ખુલ્યું છે.