થાનના ખાખરાવાડી ગામે રહેતા દંપતી બાળકો સાથે બાઇકમાં રાજકોટ આવતા હતા ત્યારે બાબણબોર પાસે આખલાએ બાઇકને ઠોકર મારતાં 10 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે દંપતી અને બાળકીને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખાખરાવાડી ગામે રહેતા રેખાબેન સુરેશભાઇ બોહકિયા (ઉં.27)એ ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ ટ્રેક્ટર ચલાવતા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તા.9ના રોજ બપોરે પતિ અને બે બાળકો સાથે બાઇકમાં બેસી રાજકોટ આવતા હતા ત્યારે બામણબોર પાસે અચાનક ધસી આવેલા આખલાએ બાઇકને ઠોકરે લેતા પતિ સુરેશભાઇ ધીરૂભાઇ બોહકિયા, પત્ની રેખાબેન, પુત્રી કિંજલ અને પુત્ર કિશન ફંગોળાઇ ગયા હતા.
દરમિયાન 108માં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર ઇજા પામેલા કિશન (ઉ.10) નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેર બાદ હાઇવે પર પણ રખડતા ઢોરના કારણે વાહનચાલકોની જિંદગી જોખમમાં મુકાતા તંત્રએ કાર્યવાહી કરવાની માંગ સાથે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.