રાજકોટ જિલ્લાના વાજડીગઢ ગામે રહેતા વૃદ્ધ તેનું બાઇક લઇને જતા હતા ત્યારે પડધરીના સરપદડ ગામ પાસે વીજપોલ સાથે અથડાતાં તેનું મોત નીપજતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે પડધરી પોલીસે કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના વાજડીગઢ ગામે રહેતા દિનેશભાઇ કરમશીભાઇ સતાપરા (ઉ.60) તેનું બાઇક લઇને જતા હતા ત્યારે સરપદડથી ખંભાળા રોડ પર વીજપોલ સાથે બાઇક અથડાતાં ફંગોળાયેલા વૃદ્ધ પાસેના વોંકળામાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું.
બનાવને પગલે પડધરી પોલીસ મથકના એએસઆઇ અગ્રાવતે તપાસ કરતાં મૃતકના ભાઇ થાનગઢ ગામે રહેતા દોલતભાઇએ જણાવ્યું હતું કે, તા.23-11ના રોજ દિનેશભાઇના પુત્ર હાર્દિકનો ફોન આવ્યો હતો અને તેને કહ્યું કે, તેના પિતા જીવાપર ખાખરા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી મોટરસાઇકલ લઇને નીકળ્યા બાદ પરત ઘેર આવ્યા ન હતા અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હોવાનું જણાવતા તેની શોધખોળ દરમિયાન તેની લાશ મળી આવતા પોલીસે તપાસ કરતાં વીજપોલ સાથે અકસ્માત બાદ આ બનાવ બન્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.