રાજકોટના કિટીપરા વિસ્તારમાં વર્ષ 2022માં થયેલી આસીફ જુણેજાની હત્યા કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં એડિશનલ સેશન્સ જજ વી.કે. ભટ્ટ દ્વારા આરોપી વિકી અશોકભાઈ ઉર્ફે બજરીયા ચોવસીયાને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સખત સજા અને દંડનો હુકમ ફરમાવ્યો છે.
મૃતક આરોપીને સમજાવવા ગયો ને તેણે છરો માર્યો ગત તા.20 જૂન 2022ના રોજ વહેલી સવારે ફરિયાદી જાકીર ઉર્ફે ટપુ જાહિદભાઈ જુણેજા તેના મિત્ર સુનીલના ઘરે માતાજીના માંડવામાં ગયો હતો ત્યાં આરોપી વિકી બજરીયાએ આવી ગાળો આપી ફરિયાદીના મોટરસાઇકલમાં લાતો મારવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીએ સમજાવવાનો પ્રયત્ન કરતા આરોપી વધુ ઉશ્કેરાયો હતો. વિકીને સમજાવવા માટે ફરિયાદીએ તેના મોટા બાપુના દીકરા આસીફ જુણેજાને ફોન કરીને બોલાવ્યો હતો. આસીફ આરોપીને ઓળખતો હોવાથી તેને સમજાવવા ગયો પરંતુ, ઉશ્કેરાયેલા વિકીએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી આસીફના છાતીના ડાબા ભાગે ઝીંકી દીધી હતી.
આરોપીના કપડાં પરથી પણ મૃતકનું લોહી મળી આવ્યું હત્યા બાદ આરોપી ભાગવા જતો હતો ત્યારે ફરિયાદી અને સુનીલ સાથેની ઝપાઝપીમાં આરોપીનો મોબાઈલ ફોન ઘટનાસ્થળે જ પડી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આસીફને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા 21 જૂન 2022ના રોજ આરોપી વિકીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીના ઘરેથી ગુનામાં વપરાયેલી છરી મળી આવી હતી, જેના પર મૃતકનું લોહી હોવાનું FSL રિપોર્ટમાં સાબિત થયું હતું અને આરોપીના કપડાં પરથી પણ મૃતકનું લોહી મળી આવ્યું હતું.
કોર્ટે દલીલોને માન્ય રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી આ કેસ દરમિયાન સરકારી વકીલ દ્વારા કુલ 14 સાક્ષીઓની જુબાની અને 35 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. નજરે જોનાર સાક્ષીઓની જુબાની અને સાયન્ટિફિક પુરાવાઓને આધારે કોર્ટે માન્યું કે, ફરિયાદ પક્ષનો કેસ નિ:શંકપણે સાબિત થાય છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ શાહ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કોર્ટે તમામ દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.