ગત 5 ઓગસ્ટે સુરતમાં સતીશ મરાઠાની કરાયેલી હત્યા મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલનો લાજપોર જેલમાંથી કબજો લઈ કોર્ટમાં રજૂ કરાતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાહુલ મંડલે જેલમાંથી બેસીને જ મરાઠાને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું. હત્યાના 7 દિવસ પહેલા જ સતીશની કારમાં GPS ટ્રેકર લગાવી લોકેશન મેળવવામાં આવ્યું હતું. ખલનાયકની રીલ બનાવવાનો શોખીન રાહુલ મંડલ 28 વર્ષની ઉંમરમાં જ 15 ગુના આચરી ચૂક્યો છે. ગુજસીટોકના ગુનામાં હાલ લાજપોર જેલમાં બંધ છે.
સુરત પોલીસને હજી પણ ગેંગવોર ફાટવાની ભીતિ હોય રાહુલ મંડલનો કબજો લીધા બાદ પોલીસ સ્ટેશનમાં રાખવાના બદલે કોઈ ગુપ્ત સ્થળે રાખીને જ પૂછપરછ કરાઈ રહી છે.
સુરતમાં લાંબા સમયથી સતીષ મરાઠા અને રાહુલ મંડલની ગેંગ વચ્ચે ગેંગવોર ચાલતી હતી. ગુજસીટોકના ગુનામાં લાજપોર જેલમાં બંધ રાહુલ મંડલને ડર હતો કે, તે બહાર આવશે તો સતીશ મરાઠા તેના પર હુમલો કરશે. જેથી જેલમાં બેસીને જ રાહુલ મંડલે સતીશની હત્યાનો પ્લાન બનાવ્યો અને અંજામ આપાવ્યો. આ કેસમાં અગાઉ 4 સગીરો સહિત 9 આરોપીઓની ધરપકડ કરાયા બાદ મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલનો 11 ઓગસ્ટે જેલમાંથી કબજો લેવાયો. કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા.