રાજકોટમાં છેલ્લા દોઢેક મહિનાથી રોગચાળો વકરી રહ્યો છે. જેમાં સતત પાંચમાં સપ્તાહે ડેન્ગ્યુનાં 20થી વધુ કેસ નોંધાતા છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુની સદી પુરી થઈ છે. જ્યારે છેલ્લા સપ્તાહમાં મનપાનાં ચોપડે ડેન્ગ્યુનાં વધુ 28 દર્દી નોંધાતા ચાલુવર્ષે ડેન્ગ્યુનાં 190 દર્દીઓ નોંધાયા છે. ઉપરાંત ચિકનગુનિયાના 3 અને ટાઇફોઇડના 2 સહિત વિવિધ રોગોનાં 1983 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જેમાં ડેન્ગ્યુનાં ભયમાં કોઇ ઘટાડો ન થતા ફોગિંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. આ સાથે મચ્છર ઉત્પતિ બદલ 456 મિલ્કતધારકને નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્ય અધિકારી દ્વારા લોકોને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. જોકે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો દર્દીઓનો કુલ આંક 10,000થી વધુ હોવાની શક્યતા છે.