રાજકોટને હાઇકોર્ટની નવી બેંચ ફાળવવા માટેની લડત ફરી ઉગ્ર બની છે, ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ માંગણી કરી છે. જોકે, વર્ષ 2015માં જ્યારે રાજકોટને હાઇકોર્ટની બેંચ ફાળવવા માટે લડત શરૂ થઈ હતી. જે બાદ રાજ્યસભાના સાંસદ મોકરીયાને બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવતા વર્ષ 2022માં કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જુ અને બાદમાં તત્કાલીન મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તે માંગણી હજૂ સુધી ન સંતોષવામાં આવતા 2 ઓગસ્ટના સાંસદે મુદ્દાઓ સાથેની માંગણી ફરી મુખ્યમંત્રી સમક્ષ કરવાની ફરજ પડી છે. સાંસદના કહેવા પ્રમાણે રાજકોટને હાઇકોર્ટની બેંચ ફાળવવા બાબતે સરકાર હકારાત્મક છે.
રામ મોકરીયાએ 2022માં કાયદામંત્રીને પત્ર લખ્યો હતો રાજકોટ બાર એસોસિએશન દ્વારા 2015માં રાજકોટ શહેરમાં હાઇકોર્ટ બેંચ આપવા માટે રજૂઆત કરી હતી. તે સંદર્ભે બાર એસોસિએશન સભ્યોએ રામ મોકરીયાને પણ રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે રજૂઆત કરી હતી. જેથી સાંસદ સભ્ય (રાજ્યસભા) રામ મોકરીયા દ્વારા 20/9/2022ના રોજ કેન્દ્રના કાયદામંત્રી કિરણ રિજ્જુને વિગતવાર પત્ર લખવામાં આવ્યો હતો. આ બાબતે કેન્દ્રના કાયદા મંત્રી કિરણ રિજ્જુ દ્વારા 27/10/2022ના રોજ જવાબ આવ્યો હતો કે, જેમાં મુખ્ય બેઠક સિવાય અન્ય સ્થળે હાઇકોર્ટ બેન્ચની સ્થાપના જશવંતસિંહ કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણો અને 2000ના W.P.(C)નં. 379માં સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર અને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ દરખાસ્ત ઉપર વિચારણા કર્યા પછી કરવામાં આવે છે. જેમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવા અને ખર્ચને પહોંચી વળવા માટેની તૈયારીનો સમાવેશ થાય છે. આ સાથે સંબંધિત ચીફ જસ્ટિસ અને ગવર્નરની સમંતિ પણ જરૂરી છે.