રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૃષિમંત્રી અને રાજકોટના પ્રભારી એવા રાઘવજી પટેલ, સાંસદ પરષોત્તમ રૂપાલા સહિતના નેતા સૌ પ્રથમ જ્યુબિલી ચોક પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ જવાહર રોડ પર ગાંધી મ્યુઝિયમ બહાર કોઇ કચરો ન હતો ત્યાં સફાઈ કરી હતી. જોકે, એક દિવસનું સ્વચ્છતા અભિયાન મોટાભાગે સફાઈના નામે નાટક જેવું રહ્યું હતું.
આ તકે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નકલી બિયારણ અંગે તપાસ સોંપવાનું જણાવ્યું હતું તો સાંસદ પરષોત્તમ રૂપાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્યાગ્રહની સાથે સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું હતું. સ્વચ્છતામાં જે સારી કામગીરી કરતા હોય તેવા કોર્પોરેશનના કર્મચારીઓને ઇન્સેન્ટિવમાં મોખરે રાખવા જોઇએ તેવી અપીલ કરી હતી.
સ્વચ્છ ભારત અભિયાનને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ત્રિકોણ બાગ પાસે આવેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનની પાછળનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. જે પહેલાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જામજોધપુરના ખેડૂતો દ્વારા નકલી બિયારણ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જે મારી સમક્ષ આવ્યો છે અને તેની તપાસ સોંપવામાં આવી છે. જે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.