રાજકોટનાં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એકાદ મહિના અગાઉ જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં સુવર્ણભુમી સહિતની સોસાયટીના સ્થાનિક લોકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરવામાં આવતા તેમણે તરત જ સ્થળ મુલાકાત લઇ અહીં બુટલેગરોનાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ખાતરી આપી હતી. જે અંગર્ગત આજે RMC દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બુલડોઝર મોકલાયા હતા. જો કે, સ્થાનિકોએ વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલુ હોવાનું જણાવી ડિમોલેશન કામગીરી અટકાવી હતી. જોકે, કામગીરી અટકાવતા પૂર્વ MLA સિદ્ધાર્થ પરમાર સહિતનાની અટકાયત કરાઈ હતી. જે બાદ રાજકોટ મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ સવારે 8:30 કલાકે બુલડોઝર ફેરવવામાં આવનાર હતું. જોકે મનપાની ટીમો દોઢ કલાક મોડી એટલે કે 10 વાગ્યા આસપાસ પહોંચી હતી. અને પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રીનાથજી સોસાયટીમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાનો પ્રયાસ કરાયો હતો. અગાઉથી નોટિસ પણ અપાઈ હોવાથી સ્થાનિકોએ પોતાના ઘરનો સામાન પણ પહેલાથી જ બહાર મૂકી દીધો હતો. જોકે આ મકાનો કાયદેસર હોવા છતાં તંત્ર દ્વારા ટીપીમાં ફેરફાર કરી તેના મકાનો દૂર કરવામાં આવ્યા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો હતો. અને આ ડીમોલેશન અટકાવવાની ફરજ પડી હતી.