આજીડેમ પાસે પાણી ભરેલી ખાણમાંથી યુવકની લાશ મળી

શહેરમાં કોઠારિયા રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા અને ગુરૂવારે ઘેરથી કામે જવાનું કહી નીકળેલા યુવકની આજીડેમ પાસે રામવન નજીક પાણી ભરેલી ખાણમાંથી લાશ મળી આવતા પોલીસે યુવાનનાં મોતમાં આપઘાત કે અકસ્માત જેનું કારણ જાણવા મથામણ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આજીડેમ પાસેના રામવન નજીક પાણી ભરેલી ખાણમાં યુવકની લાશ તરતી હોવાની જાણ થતા ફાયરબ્રિગેડ અને આજીડેમ પોલીસે પહોંચી મૃતદેહને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. જમાદાર જયદેવભાઇ બોસિયા સહિતે તપાસ કરતા મૃતક યુવાન રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઇ જેન્તીભાઇ પીપળિયા (ઉ.વ.32)ની હોવાનું બહાર અાવતા પોલીસે તેના પરિવારની પૂછતાછ કરી હતી. પોલીસની પૂછતાછમાં તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતક યુવક એક બહેન એક ભાઇમાં નાનો હોવાનું અને પટેલનગરમાં કારખાનામાં કામ કરતો હતો. ગુરૂવારે બપોરે કામે જવાનું કહી નીકળ્યા બાદ રાતે ઘેર નહીં આવતા તેના પરિવારે તેની શોધખોળ કરી હતી અને ફોન પણ નો રિપ્લાય થતો હોય પોલીસને જાણ કરી હોવાનું જણાવતા પોલીસે બનાવ આપઘાતનાે કે અકસ્માત ? તે જાણવા કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *