ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે જમીન અને રસ્તાના જૂના વિવાદને કારણે કૌટુંબિક ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ધાર્મિક પ્રસંગ ‘તાવો’ કરવા બાબતે શરૂ થયેલા ઝઘડામાં મહિલા સહિત પરિવારના સભ્યો પર ઈંટોના ઘા મારી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ખાંડાધાર ગામના રહેવાસી 45 વર્ષીય રંજનબેન ભુપતભાઈ મકવાણા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, 9 ઓગસ્ટ, 2026 ના રોજ સાંજે છ વાગ્યે રંજનબેનનો પુત્ર વિશ્વાસ તેની કાર લઈને વાડી નજીક આવેલા ચામુંડા માતાજીના મઢે તાવો કરવા ગયો હતો.
તે સમયે કૌટુંબિક ભાઈઓ સુરેશભાઈ વલ્લભભાઈ મકવાણા, મુકેશભાઈ વલ્લભભાઈ મકવાણા, પ્રકાશભાઈ સુરેશભાઈ મકવાણા અને જીગો મુકેશભાઈ મકવાણા ત્યાં આવ્યા હતા. તેઓએ વિશ્વાસ સાથે બોલાચાલી કરી અને “અહીં તાવો કરવા આવવું નહીં, નહિતર અહીંથી નીકળવું નહીં” તેમ કહી ગાળો આપી હતી.