રંગીલા રાજકોટ શહેરમાંથી સગીરાની મજબૂરીનો લાભ ઉઠાવી તેની સાથે ક્રૂરતા અને દુષ્કર્મ આચરવાનો વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સાડા 17 વર્ષની અનાથ સગીરાને એક સગીર વયના યુવકે પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હતું. આટલું જ નહીં, સગીર આરોપીના મિત્ર અસલમ પઠાણે પણ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો પોલીસ ચોપડે નોંધાઈ છે.
અનાથ સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીડિત સગીરાના માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું હોવાથી તે પોતાના કાકા-કાકી સાથે રહીને જીવન ગુજારી રહી હતી. આ સમયગાળા દરમિયાન એક સગીર વયના આરોપીએ તેને લગ્ન કરવાની ખોટી લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ સગીરાને અવારનવાર શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો મુજબ સગીર આરોપીએ સગીરા પર અન્ય લોકો સાથે પણ શારીરિક સંબંધ બાંધવા (સૂવા માટે) દબાણ કર્યું હતું. જ્યારે માસૂમ બાળકીએ આ અનૈતિક માંગણીનો સખત વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેની સાથે અત્યંત આંત્યતિક ક્રૂરતા આચરી ઢોર માર માર્યો હતો.
મિત્ર અસલમ પઠાણે એકલી જોઈ ધમકી આપી આચર્યું દુષ્કર્મ આ ગંદા ખેલમાં સગીર આરોપીનો મિત્ર અસલમ પઠાણ પણ શામેલ થયો હતો. સગીરા જ્યારે ઘરમાં એકલી હતી, ત્યારે અસલમ પઠાણ તેની દાનત બગાડીને ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ આરોપી અસલમે સગીરાને ધમકાવી હતી કે, “જો આ વાતની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ.” ધમકીથી ડરી ગયેલી સગીરાએ શરૂઆતમાં કોઈને કશું કહ્યું નહોતું.