રવિવારે વહેલી સવારે રાજકોટના હલેન્ડા ગામ પાસે આવેલી માટેલ હોટેલ નજીક પગપાળા જતા પદયાત્રીઓને પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે હડફેટે લીધા હતા. જેમાં બે મહિલા કિરણબેન શૈલેષભાઈ ધોરિયા (ઉ.વ.32) ગોંડલ અને ભાનુબેન લક્ષ્મણભાઈ ચીરોડીયા (ઉ.વ.35)ના મોત નીપજ્યા હતા. લોઠડાં રહેતા ચંપાબેનને બળધોઈ ગામે આવેલા સુરાપુરા દાદાના મંદિરે ચાલીને જવાની માનતા હતી. મોડી રાત્રે તેઓ 8 કૌટુંબિક સભ્યો લોઠડાથી ચાલીને નીકળ્યા હતા. જેમાં ચંપાબેનના સગા બહેન ગોંડલ ખાતે સુરેશ્વર મંદિર પાસે રહેતા કિરણબેન ધોરિયા પણ સાથે હતા અને મકનસરથી કૌટુંબિક સગા ભાનુબેન પણ ચાલીને પદયાત્રામાં જોડાયા હતા.
પરિવારના કેટલાક અન્ય સભ્યો બાઈક લઈને રસ્તામાં સાથે સાથે રહેતા હતા. રસ્તામાં કિરણબેન, ભાનુબેન અને ભાનુબેનના પતિ લક્ષ્મણભાઈને પાણીની તરસ લાગતા તેઓએ થોડીવાર વિસામો લેવા રોડની સાઈડ પર બેઠા હતા. 10થી 15 મિનિટ આરામ કર્યાં બાદ ફરી ચાલવાનું શરૂ કરવાની તૈયારી હતી. બધા રોડની સાઈડમાં ઉભા હતા. ત્યાં એક ટ્રક પૂરપાટ ઝડપે ધસી આવ્યો અને ત્યાં ઉભેલા ચાર લોકોને હડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઈજા થતા કિરણબેન અને ભાનુબેનનું મોત નીપજ્યું હતું જ્યારે કિરણબેનના પતિ શૈલેષભાઈ સહિત બે લોકોને ઈજા થઈ હતી. મૃતક કિરણબેન સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ભાનુબેનને બે દીકરી અને એક દીકરો છે. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.