રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દૂષિત પાણી અને કાળઝાળ ગરમીના કારણે રોગચાળાનો પ્રકોપ વધ્યો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલની દૈનિક ઓપીડીમાં 10 ટકાનો વધારો નોંધાયો છે, જ્યાં દરરોજ 500 થી 700 દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે.
ખાસ કરીને ઝાડા-ઉલટી અને પેટના દુખાવાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આ કેસો મુખ્યત્વે દૂષિત પાણીના સેવનને કારણે હોવાનું મનાય છે, જે લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહ્યું છે.
ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સારવાર માટે 24 કલાકની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલમાં જરૂરી દવાઓ, ORS (ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન) નો પૂરતો જથ્થો અને નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ છે.