ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ટેન્કરનું ટાયર ફૂટતા પાછળથી આવતી ટ્રાવેલ્સ ટેન્કર સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.