રાજકોટના પરાબજાર સ્થિત કૃષ્ણપરા મટન માર્કેટમાં અસ્વચ્છતા અને અનસ્ટેમ્પ્ડ મટનનું વેચાણ કરતા 10 વેપારીઓ સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરીજનોના સ્વાસ્થ્યની જાળવણી અર્થે હાથ ધરાયેલા વિશેષ તપાસ અભિયાન દરમિયાન માર્કેટમાં ભારે ગંદકી અને લેબોરેટરી ચકાસણીમાં મટન અનસ્ટેમ્પ્ડ હોવાનું સામે આવતાં અધિક કલેક્ટર ડો. બારોટે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તમામ 10 વેપારીઓને રૂ. 10-10 હજાર મળીને કુલ રૂ.1 લાખનો દંડ ફટકાર્યો છે. આ આકરી કાનૂની કાર્યવાહીના પગલે નિયમો નેવે મૂકનારા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટ મહાપાલિકા દ્વારા 15 ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નવો 150 ફૂટ રિંગ રોડ સ્થિત ‘અટલ સરોવર’ ખાતે સવારે 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મેયર ડો. નેહલ શુક્લ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપશે અને પ્રાસંગિક ઉદબોધન કરશે. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ, આશા અને આંગણવાડી વર્કરોનું સન્માન કરાશે તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અટલ સરોવરમાં રેસ્ક્યૂ અને હાઈરાઈઝડ બિલ્ડિંગમાં આગ બુઝાવવાના દિલધડક ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવશે. કાર્યક્રમની આખરી તૈયારીઓ અર્થે મેયર અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી હતી, જ્યારે બીજી તરફ શહેરના તમામ 18 વોર્ડ ઓફિસેથી તિરંગા વિતરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.