રાજકોટ શહેરના ઉષાબેન રવિભાઈ મહેતા (ઉં.વ. 36) એ ગઈકાલે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ઉષાબેને દોઢ વર્ષ પહેલાં પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ રવિભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન ઉષાબેનના માવતર પક્ષને મંજૂર ન હોવાથી માતા સહિતના પિયર પક્ષના સભ્યોએ તેમની સાથેના તમામ વ્યવહારો તોડી નાખ્યા હતા. પરિવારના આ અસ્વીકારને કારણે પરિણીતા લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી, જેના લીધે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રાજકોટમાં ગેરકાયદે વસવાટ કરતી વધુ બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ રાજકોટ: રાજકોટ શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ રૈયા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે રહેતી બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બંને મહિલાઓ છેલ્લા દોઢ વર્ષથી કોઈ પણ કાયદેસરના આધાર પુરાવા વગર અહીં મજૂરી કામ અર્થે વસવાટ કરતી હતી. SOG દ્વારા આ બાબતે અન્ય તપાસ એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને બંને મહિલાઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 મહિનામાં રાજકોટમાંથી કુલ 38 બાંગ્લાદેશી નાગરિકો (29 મહિલા, 6 પુરુષ અને 3 બાળકો) ને ઝડપી પાડી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
દાદીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા સગર્ભા પત્નીને પતિએ માર માર્યો રાજકોટ: મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં રહેતી અલ્ફીઝા ઠાસરીયા નામની 25 વર્ષીય સગર્ભા મહિલાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ફેબ્રુઆરીમાં પ્રેમ લગ્ન કર્યા બાદ સાસુ ઘરકામ બાબતે મેણાટોણા મારતા હતા અને પતિ અન્ય યુવતીઓ સાથેના સંબંધો બાબતે ઠપકો આપતા મારપીટ કરતો હતો. તાજેતરમાં પતિ મોરબી જવાનો હોવાથી ત્રણ મહિનાનો ગર્ભ ધરાવતી અલ્ફીઝાએ તેના જંગલેશ્વર સ્થિત દાદીના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાત પર ઉશ્કેરાઈને પતિ ફેઝલે ‘માવતર પક્ષ સાથે સંબંધ રાખવાનો નથી’ તેમ કહી પત્નીને માર માર્યો હતો અને દાદીના ઘર પાસે મૂકીને જતો રહ્યો હતો. આ મામલે તાલુકા પોલીસે પતિ ફેઝલ અને સાસુ કુલસુમબેન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.