રાજકોટના વોર્ડ નંબર 11માં આવેલા મવડી વિસ્તારના 40 ફૂટ રોડ પરની રાજદીપ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે તંત્ર સામે મોરચો માંડ્યો છે. ગટરની પાઈપલાઈન નખાઈ ગયા પછી પણ લાંબા સમયથી રોડ રસ્તાનું સમારકામ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ રોડ પર બેસીને ‘રામધૂન’ બોલાવી હતી અને સ્થાનિક કોર્પોરેટરો તેમજ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોડ ચક્કાજામ કર્યો હતો.
આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે સ્થાનિક રહીશ ચંદ્રિકાબેનએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બિસ્માર રોડના કારણે દરરોજ અનેક અકસ્માતો થાય છે. ગઈકાલે જ મારી દીકરી સ્કૂલેથી આવતા સમયે રોડ પર પડી ગઈ હતી અને તેને ઈજા થઈ છે, જ્યારે આવતીકાલથી તેની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ખરાબ રસ્તાઓને લીધે સ્કૂલ રિક્ષાઓ કે વાહનો પણ સોસાયટીમાં આવી શકતા નથી, જેના કારણે બાળકોને અભ્યાસમાં પણ મુશ્કેલી પડે છે. રહીશોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે રસ્તાઓ રિપેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રાજકોટના ટાગોર રોડ પાસેની કલ્યાણ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગના વિવાદને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં 12થી વધુ પરિવારો વસવાટ કરે છે, જ્યાં જાહેર જનતા માટે ઉપયોગી એવા મુખ્ય માર્ગ પર ત્રણ મકાનધારકો દ્વારા ગેરકાયદેસર રીતે દિવાલ ચણી દેવામાં આવી છે. અગાઉ ડિસેમ્બર-2023માં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સ્થળે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, તેમ છતાં ફરીથી દિવાલ બનાવી રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવાયો છે.