પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં અને અંતે ડેમમાં

રાજકોટના રેસકોર્સ મેદાનમાં હરિપ્રકાસદાસજી સ્વામીના મુખે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજા દિવસે સ્વામીજીએ આજના સમયમાં થતા પ્રેમ વિશે ટકોર કરતા આજના સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં થતા પ્રેમ વિશે યુવાનોને ટકોર સાથે પ્રેમનું વર્ણન કરતા કહ્યું હતું કે, આજનો પ્રેમ એટલે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા,ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું. પ્રેમ કરવો હો તો રાધા અને કૃષ્ણ જેવો કરવો કારણ કે રાધા અને કૃષ્ણનો પ્રેમ એ સાચો પ્રેમ હતો.

શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને તેમની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવ્યું હતું. કથાના બીજા દિવસે એટલે કે રવિવારે 38,000 બાદ સોમવારે ત્રીજા દિવસે 30,000થી વધુ લોકોએ કથાનું રસપાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે દરરોજ કથાની શરૂઆત કરતા પહેલા આરતી અને રાષ્ટ્રગીતથી ભક્તિમય વાતાવરણ બનાવી બાદમાં સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવાની શરૂઆત કરવામાં આવે છે.

સ્વામીજીએ લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ અને લોકબોલીમાં સમજાવતા જણાવ્યું હતું કે, ‘જ્યારે આપણે બધાને કહીને અને પરિવારની સાથે બેસીને જમીએ તેને અરેન્જ મેરેજ કહેવાય છે, પરંતુ જે એકલા અને છાનામાના જમી લે, તેને લવ મેરેજ કહેવાય છે.’ તેમણે લગ્નમાં પારિવારિક સહમતી અને સામાજિક મર્યાદાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે. આ માટે કહ્યું કે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *