મનપાની આરોગ્ય અને ફૂડ શાખાએ જુદી-જુદી કંપનીના બ્રાન્ડેડ નમકના નમુના લેવા પણ ખાસ ડ્રાઇવ ચલાવી છે. પરાબજારમાં આવેલી સંદીપ સોલ્ટ ટ્રેડર્સ નામની પેઢીમાંથી તાજા, તરૂ અને અંકુર રીફાઇન્ડ આયોડાઇઝ સોલ્ટના નમુના લેવામાં આવ્યા હતા. સંતકબીર રોડ પર રામાપીર મંદિર પાસે આવેલ ખોડીયાર પ્રોવિઝન સ્ટોરમાંથી ટાટા, નિરમા શુધ્ધ અને દાંડી રીફાઇન્ડ નમકના નમુના લીધા હતા તો ગોકુલનગરના ગોકુલ જનરલ સ્ટોરમાંથી રીયલ રીચ સોલ્ટ, કાલાવડ રોડના જગન્નાથ પ્લોટમાં આવેલ ટાટા સોલ્ટ અને સફોલા સોલ્ટ પ્લસ મળી કુલ 9 નમુના પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે.
મીઠામાં ઉમેરવામાં આવતા જુદા-જુદા તત્વોનું પરીક્ષણ કરીને રીપોર્ટ આવશે તેના પરથી આગળની કાર્યવાહી થશે તેમ વિભાગે જણાવ્યું હતુ. આ દરમ્યાન ફૂડ શાખાએ શહેરના સ્પીડવેલ પ્લોટ 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓને ત્યાં 19 નમુનાની ચકાસણી કરી હતી જ્યારે 8 ધંધાર્થીને લાયસન્સ માટે સૂચના આપવામાં આવી છે.તેમાં (1)ક્રિષ્ના માવા કેન્ડી (2)પુર્ણિમા ઘૂઘરા (3)નિધિ કચ્છી દાબેલી (4)બાલાજી વડાપાઉં (5)ભેરુનાથ કોલ્ડ પાણીપૂરી (6)જીજે 36 ભૂંગળા બટેટા (7)આકાશ સ્વીટસ (8)જ્યુસ શેઇકનો સમાવેશ થાય છે.
30મીએ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિહિપનું યુવા સંમેલન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છેલ્લા 33 વર્ષથી દર વર્ષે શૌર્ય દિવસ ઉજવવામાં આવે છે. શૌર્ય દિવસ પહેલા 6 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતો હતો પરંતુ 2021 થી ગીતા જયંતીના દિવસે આ ઉત્સવ ઉજવવાનુ કેન્દ્રીય સમિતિ દ્વારા નક્કી કરવામા આવ્યુ હતુ. જે અંતર્ગત ગીતા જયંતી શૌર્ય દિવસ નિમિત્તે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત બજરંગ દળ દ્વારા 30 નવેમ્બરના સાંજે 5થી 7 રેસકોર્સ રીંગરોડ પર એરપોર્ટ ફાટક પાસે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે યુવા સંમેલન રાખવામાં આવ્યું છે.
જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહ સંગઠન મહામંત્રી વિનાયકરાવ દેશપાંડેજી પણ ઉપસ્થિત રહેવાના છે અને તેમનું માર્ગદર્શન અને ઉદબોધન રાજકોટના યુવાનોને મળવાનું છે. જે કાર્યક્રમમાં રાજકોટ શહેરના DCP ક્રાઈમ જગદીશ બાંગરવા પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને યુવાનોને નશા મુક્તિના વિષય પર માર્ગદર્શન આપવાના છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિહીપ રાજકોટ વિભાગના સહમંત્રી પરેશભાઈ રૂપારેલીયા બજરંગ દળના આ અભિયાન અને મુહિમમાં સંપૂર્ણપણે જોડાવા અને સાથ સહકાર આપવા માટે આહવાન કર્યું છે.