રાજકોટ મહાનગરપાલિકામા સફાઈ કામદારોના વારસદારોને નોકરીનો પ્રશ્ન ફરી એક વખત ગાજ્યો હતો. આજે વાલ્મિકી સમાજ મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે એકત્ર થયો હતો. જેમાં અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાના નિયમોનું પાલન કરવામાં આવે અને રાજીનામામાંથી મેડીકલ સર્ટિફિકેટ રદ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી તો તેમનો પ્રશ્ન નહીં ઉકેલાય તો 15 દિવસ બાદ આંદોલન અને હડતાલની ચીમકી ઉચ્ચારી હતી.
રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા મેયર નયનાબેન પેઢડીયાને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં અમદાવાદ, વડોદરા તેમજ સુરત તથા અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાનો નિયમ અમલમાં છે.પરંતુ છેલ્લા 4 વર્ષથી સીવીલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા મેડીકલ સર્ટીફીકેટમાં વિસંગતતાઓને કારણે 200થી વધારે સફાઈ કામદારોના રાજીનામાં અટવાયેલા પડયા છે અને ઘણા સફાઈ કામદારો અવસાન પામેલ તથા નિવૃત થઈ ગયેલ છતાં તેમને પોતાના વારસદારને નોકરીના હકકથી વંચીત રહેવુ પડ્યુ છે.