‘અરે જા રે હટ નટખટ’ ગીત ફેમ પીઢ એક્ટ્રેસ સંધ્યા શાંતારામનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ‘નવરંગ’, ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘દો આંખે બારહ હાથ’ અને મરાઠી ફિલ્મ ‘પિંજરા’ માટે જાણીતા હતાં. તેઓ દિવંગત ફિલ્મ મેકર વી. શાંતારામના પત્ની હતાં. આજે, મુંબઈના શિવાજી પાર્ક સ્થિત વૈકુંઠધામ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
ઇન્ડિયા ટુડે’એ સૂત્રોને ટાંકીને લખ્યું છે કે, ‘તેમના મૃત્યુના કારણ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ તેઓ વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાથી પીડાતાં હતાં.
ફિલ્મ મેકર મધૂર ભંડારકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, ‘સુપ્રસિદ્ધ એક્ટ્રેસ સંધ્યા શાંતારામજીના નિધનથી દુઃખી છું. તેમની ‘પિંજરા’, ‘દો આંખે બારહ હાથ’, ‘નવરંગ’ અને ‘જનક જનક પાયલ બાજે’ જેવી ફિલ્મોના આઇકોનિક પાત્રો હંમેશા યાદ રહેશે. તેમની નોંધપાત્ર પ્રતિભા અને મંત્રમુગ્ધ કરનારી નૃત્ય કૌશલ્યે સિનેમા જગત પર એક અવિસ્મરણીય (કાયમી) છાપ છોડી છે.’