રાજકોટના હરીપર (સરધાર) માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા 26 વર્ષીય નીતિન પોકળ તેમના પિતા માવજીભાઈના એક્ટિવા પાછળ બેસી ગત તા.19 સપ્ટેમ્બરના સવારના 8.30 વાગ્યાની આસપાસ હરીપર-સરધાર રોડ પર જતા હતા ત્યારે હરીપર ગામથી આગળ મનજીભાઈ રાણાભાઈ ચાવડાની વાડી પાસે પહોચતા શ્વાન આડુ ઉતર્યું હતું જેને લીધે એકટીવા સ્લીપ થઈ ગયુ હતુ. જેથી નીતિન પોકળને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન 27 મી સપ્ટેમ્બરના યુવાને દમ તોડી દીધો હતો. જેથી તબીબોએ જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. જેથી આજીડેમ પોલીસ મથકમા પિતા સામે બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત સર્જી મૃત્યુ નિપજાવ્યાનો ગુનો દાખલ થયો છે.
અન્ય બનાવ શહેરના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં ગુરુકુપા સોસાયટી શેરી નં.1 માં રહેતા 59 વર્ષીય જીવરાજભાઈ લાલજીભાઇ કિયાડાએ આરોપી તરીકે મીલન ઉર્ફે બાવો તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ ગત 23 સપ્ટેમ્બરના રાત્રીના ગુરુકૃપા સોસાયટી શેરી નં.1 ના ખૂણે બેઠા હતા ત્યારે એક સફેદ કલરના એક્ટીવામાં 3 શખ્સો લાકડીઓ સાથે આવ્યા હતા અને તેઓ જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા. જે ગાળો બોલવાની ના પાડતા આ આરોપીઓએ વૃધ્ધ અને તેની સાથેના માણસોને લાકડી વડે માર માર્યા બાદ ઢીકાપાટુ મારી દીધા હતા. જે અંગે 27 મી સપ્ટેમ્બરના ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.