રાજકોટમાં વધુ એક પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. બેંકમાં કેશિયર તરીકે કામ કરતી મહિલા પર સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સાસરિયાઓથી કંટાળી કાલાવડ રોડ પર કે.કે.વી. સર્કલ પાસે શિવાલિક એપાર્ટમેન્ટમાં રહેતાં પતિ સહિતના સાસરિયાઓ સામે પરિણીતાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેણીના સસરાએ બેડરૂમમાં CCTV ફિટ કરાવી ખરાબ નજર રાખી અભદ્ર વર્તન કરતાં હતાં. હાલ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ રોનક ચાવડા, સસરા રમેશ ચાવડા, સાસુ સુધાબેન તેમજ નણંદ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘરમાં તમારા બ્રાહ્મણ જ્ઞાતિના પિયરના રીત-રીવાજ નહી ચાલે પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન પછી તે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી અને પોતે બાલાજી હોલ પાસે આવેલ એક્સીસ બેંકમા કેશીયર તરીકે નોકરી કરે છે. પતિ સાથે સાડા ચાર વર્ષ પહેલા વર્ષ 2020મા પ્રેમ સંબંધ થતા બંનેના પરિવારની સંમતિથી પતિ રોનક સાથે અઢી વર્ષ પહેલા તા.28.11.2022ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ તેમજ બંને નણંદ અને સાસુ-સસરા પાંચેય મળી નાની-નાની વાતમાં ઝઘડો કરવાનુ શરૂ કરી દીધું હતું અને સાસુ-સસરા કહેવા લાગ્યા હતા કે, આ ઘરમાં તમારા બ્રાહ્મણ જ્ઞાતિના પિયરના રીત-રીવાજ નહી ચાલે, અમારા ઘરના જ નિયમ ચાલશે.
રોજેરોજ ઘરકામની બાબતમાં ઝઘડો કરી તુ કામચોર છો, કહીં ગેર-સભ્યતાથી વર્તન કરતા અને તારા મા-બાપમા સંસ્કાર નથી જેથી તારામા સંસ્કાર આવેલ નથી કહીં માતા-પિતાને ગાળો આપતા હતાં. વારંવાર તુ દહેજમાં કઇ લાવી નથી કહી માતા પિતા પાસેથી ઈલેક્ટ્રોનિકસ વસ્તુ લાવવા દબાણ કરતા હતાં.