રાજ સમઢીયાળા ગામે ઝારખંડની મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ અકસ્માત અને આપઘાતની ચકચારી ઘટનાઓ સામે આવી છે. ભક્તિનગર પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા એક નામચીન આરોપીને પાસા હેઠળ જેલભેગો કર્યો છે, જ્યારે અન્ય વિસ્તારોમાંથી ચોરી અને કમકમાટીભર્યા મોતના અહેવાલો પ્રાપ્ત થયા છે.

અમન પર ખૂની હુમલો કરનાર રવિ ઉર્ફે ભગત પાસા હેઠળ વડોદરા જેલહવાલે ગત માર્ચ મહિનામાં હસનવાડી વિસ્તારમાં આવેલા ધરમ એપાર્ટમેન્ટ પાસે, નાદ ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર અમન નામના યુવાન પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનાના મુખ્ય આરોપી રવિ ઉર્ફે ભગત કિશોર ચાવડીયા (ઉ.વ. 26) વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા પાસા (PASA)ની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજૂરી આપી વોરંટ ઇશ્યુ કર્યું હતું. જેના આધારે ભક્તિનગર પોલીસ સ્ટાફે આરોપી રવિ ભગતની અટકાયત કરી તેને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી રવિ સામે અગાઉ મારામારી, હત્યાનો પ્રયાસ અને જાહેરનામા ભંગ સહિત કુલ 8 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

રાજ સમઢીયાળા ગામે એકલવાયું જીવન જીવતી ઝારખંડની મહિલાનો આપઘાત રાજકોટ નજીક આવેલા રાજ સમઢીયાળા ગામે એક શ્રમિક મહિલાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મૂળ ઝારખંડની વતની અને છેલ્લા 8 મહિનાથી રાજ સમઢીયાળાની RSPL કંપનીમાં કામ કરતી દુલદબેન મીસ્ત્રી કીમ્ફ દેસદા (ઉ.વ. 33) નામની મહિલાએ પોતાના રૂમમાં લોખંડના એંગલ સાથે ચુંદડી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક મહિલાના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા અને તે અહીં એકલવાયું જીવન જીવતી હોવાથી આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.

કાથરોટામાં વાડીની પાણીની કુંડીમાં ડૂબી જતાં 4 વર્ષના માસૂમનું મોત બીજી તરફ કાથરોટા ગામ નજીક વાડી વિસ્તારમાં એક માસૂમ બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. મૂળ મધ્ય પ્રદેશના અને હાલ અહીં મજૂરી કામ કરતા કૈલાશભાઈ વસુમિયાનો ચાર વર્ષનો પુત્ર આકાશ ખેતરમાં રમી રહ્યો હતો. રમતા-રમતા તે અચાનક પાણી ભરેલી કુંડીમાં ખાબક્યો હતો. બાળક ન દેખાતા પરિવારજનોએ શોધખોળ કરી ત્યારે પિતાની નજર કુંડી પર પડી હતી. આકાશને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બે ભાઈઓમાં મોટો એવો આકાશ ગુમાવતા શ્રમિક પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. આજીડેમ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *