રાજકોટમાં તા. 26.05.2012ના રોજ SOG પોલીસે ગોંડલ ચોકડી પાસેથી જયદિપ ઉર્ફે લાલો દેવરાજ લાવડીયા તથા ઘનશ્યામ અમરાભાઈ જળુની 32 બોરની ચેમ્બર વાળી રીવોલ્વર તથા મેઈડ ઇંગ્લેન્ડ લખેલ 32 બોરની પીસ્ટલ, મોટી સંખ્યામાં કાર્ટીસ અને બે મેગેજીન સાથે ધરપકડ કરી રાજકોટ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવેલ હતો. તપાસમાં હથીયાર સપ્લાયર તરીકે સંજય ઉર્ફે સંદીપ ઉર્ફે ટકો છગનભાઈ ઉધરેજા તથા ગોરધન રણછોડભાઈ વસોયાનું નામ ખુલેલ હતું જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ચાર્જશીટ રજુ કર્યાં બાદ કેસ ચાલી જતા ફરીયાદી, સાહેદો, પંચો, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ સહીતના વ્યકિતઓની જુબાની લેવામાં આવેલ હતી અને એફ.એસ.એલ. કચેરીના રીપોર્ટ પણ રજુ થયેલ હતા.
આરોપીના એડવોકેટે દલીલ કરેલ કે, બનાવ જાહેર સ્થળ ઉપર બનેલ હોવા છતાં કોઈ સ્વતંત્ર સાહેદોનું નીવેદન લેવામાં આવેલ નથી પંચો તપાસને સમર્થન કરતા નથી. પોલીસ દ્વારા કરવામાં આવેલ રેઈડની કામગીરી શંકાસ્પદ છે. ફરીયાદપક્ષ શંકાને રહીત પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ નીવડેલ છે આ તમામ દલીલો ધ્યાને લઇ કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, કુલદિપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, અશ્વિન અખેજા, નીધી રાયચુરા, ડેનીશા રાઠોડ રોકાયેલ હતા.