મધ્ય ગુજરાતની અને વડોદરાની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગના ત્રીજા માળે કેદી વોર્ડની બાજુમાં શરૂ કરાયેલ કરુણા વોર્ડ અજાણ્યા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યો છે. આજે આ વોર્ડમાં પોતાના પરિવારથી વિખૂટા પડેલા અને તરછોડાયેલા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ વોર્ડમાં આવતા દર્દીઓની માનવતાને માન મળી રહે એવી વ્યવસ્થા સાથે 24*7 નર્સિંગ સ્ટાફ ખડેપગે રહી સેવા કરે છે.
સૌપ્રથમ સરકારી એમ્બ્યુલન્સ મારફતે આવતા અજાણ્યા દર્દીને તાત્કાલિક વિભાગમાં દાખલ કરવામાં આવે છે. જો તેને વધુ મુશ્કેલી હોય તો તેને પ્રથમ સારવાર આપવામાં આવે છે. થોડુંક સારું થાય અને સમસ્યા જાણી નિષ્ણાત ડોકટરોની ટીમ તેઓનું નામઠામ અને સરનામું જાણી જો પરિવારમાં કોઈ ન હોય અને એકલા હોય એવી સ્થિતિમાં આ દર્દીને સારવાર આપી તાત્કાલિક કરુણા વોર્ડમાં દાખલ કરવામાં આવે છે.
ત્યારબાદ આ દર્દીની સ્થિતિ અંગે કરુણા વોર્ડના નિષ્ણાત ડોકટરોની ટીમ અને નર્સિંગ સ્ટાફ દ્વારા તેઓની સારવાર કરવામાં આવે છે. સાથે આ દર્દીને જમવાથી લઇ તમામ સુવિધા તેઓના બેડ પર આપવામાં આવે છે. ત્યારબાદ જ્યારે દર્દી સાજો થઈ જાય છે ત્યારે તેને ફરી પોતાના પરિવાર કે કયાં રહે છે તે અંગે પૂછવામાં આવે છે અને જો કોઈ ન હોય તો સામાજિક સંસ્થાઓનો સંપર્ક કરી પોલીસની NOC લઈ તેને નિ:સ્વાર્થ ભાવે મોકલવામાં આવે છે.