સરકાર જંત્રી દરથી કેટલા નીચા ભાવે ખરીદવા તૈયાર છે તેની પણ સ્પષ્ટતા કરે તેવી માગણી ઉપલેટાના પૂર્વ ધારાસભ્યએ કરી છે. છગનલાલ સોજીત્રાએ રાજ્યના મહેસુલ મંત્રીને આવેદનપત્ર પાઠવીને સવાલ કર્યો છે કે, રાજ્ય સરકાર તરફથી જુદા જુદા વિસ્તારની મિલકતના સુચિત જંત્રીદર નક્કી કરીને તેની સામે તા.24/12 -સુધીમાં વાંધા રજૂ કરવા માટેની જાહેરાત કરી છે પરંતુ સરકાર તરફથી સુચિત જંત્રી દર ખરેખર કિંમતથી કેટલા બધા ઉંચા છે કે, કોઈ વ્યકિત મિલકત ખરીદ કે વેચાણ કરી શકે નહીં તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.
તેમજ નકકી કરવામાં આવેલ જંત્રી દર મુજબ ઈન્કમટેક્ષના કાયદા મુજબ ટેક્ષ ભરવાનો થાય છે એટલે કે, આ ટેક્ષની રકમ અનેક ગણી વધી જાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે. ઉપરોકત સ્થિતિના કારણે જો સરકાર જે જંત્રી દર નક્કી કરે તે દરથી ખરીદ- વેચાણ થઈ શકતું ન હોય ત્યારે જંત્રી દરથી કેટલા ટકા ઓછા ભાવથી સરકાર તે મિલકત ખરીદવા તૈયાર છે તેવી સ્પષ્ટતા પણ કરવી જોઈએ જેથી સરકારે નકકી કરેલ જંત્રી દર ખરેખર કેટલા અંશે વ્યાજબી છે ? તે નકકી થઈ શકે.